રાજ્યમાં નાની વયે હાર્ટ એટેકથી મૃત્યુના કેસ સતત વધી રહ્યા છે. કોઈને જીમમાં કસરત કરતા, કોઈને ગરબા રમતા તો કોઈને બેઠા બેઠા હાર્ટ એટેક આવતા મૃત્યુ થયાના બનાવ બન્યા છે. ત્યારે હવે ભરૂચના વાલિયામાંથી વધુ એક એવી ઘટના સામે આવી છે, જ્યાં માત્ર 10 વર્ષની બાળકીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હોવાની આશંકા સેવાઈ છે.
મળતી માહિતી મુજબ, ભરૂચના વાલિયા તાલુકાની હરિનગર સોસાયટીમાં રહેતી એક 10 વર્ષીય બાળકીનું હૃદય અચાનક ધબકતું બંધ થઈ જતા તેનું મોત નિપજ્યું હોવા આશંકા છે. જો કે, હાલ બાળકીના મોત પાછળનું ચોક્કસ અને સાચું કારણ જાણી શકાયું નથી. તબીબી રિપોર્ટ આવ્યા પછી જ બાળકીના મોત પાછળનું સાચું કારણ જાણી શકાશે. પરંતુ, માસૂમ બાળકીના અચાનક મોતથી પરિવારમાં ગમગીની છવાઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ, બાળકી અંકલેશ્વરની ખાનગી સ્કૂલમાં ધોરણ-4માં અભ્યાસ કરતી હતી.
રાતે તબિયત લથડતા હોસ્પિટલ લવાઈ હતી
ગઈકાલે રાતે અચાનક બાળકીની તબિયત લથડી હતી અને તેણીને સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે લવાઈ હતી. જ્યાં તેનું ગેસ્ટ્રોની અસરની સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બાળકીને હાર્ટ એટેકથી મોત નિપજ્યું હોવાની હાલ આશંકા છે. તબીબ રિપોર્ટ આવ્યા પછી જ સાચું કારણ જાણી શકાશે. જો કે, બાળકીના મોતથી પરિવારનો શોકમાં ગરકાવ થયો છે.